ગયા સપ્તાહની સરખામણીમાં યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો થવા સાથે કુલ 50,824 કેસો નોંધાયા હોવાનું ઓરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધી નથી તેથી આ ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ સામે કોરોનાની રસીઓ અસરકારક હોવાનો સંકેત મળે છે.
ડેલ્ટા બી1.617.2 વેરિઅન્ટના 50,824 કેસમાંથી 42 કેસ ડેલ્ટા એવાય.1 અને મ્યુટેશન કે417એનના જણાયા છે. નવા વેરિઅન્ટના આ 42 કેસો રસી પ્રતિકારક હોવાનો ડર છે. દરમ્યાન કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે યુએઇ દ્વારા તેના નાગરિકો પર ભારત-પાકિસ્તાન સહિત 14 દેશોમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
યુએઈએ આ દેશો પર મુક્યો પ્રતિબંધ : યુએઇના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુએઇના નાગરિકો પર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેટનામ, નામિબિયા, ઝાંબિયા, કોંગો, યુગાન્ડા, સિયેરા લ્યોન, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરિયાનો પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો કે, રાજદ્વારી પ્રવાસીઓને અને અન્ય મહાનુભાવોને આ દેશોનો પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. દરમ્યાન ઓસ્ટ્રેલિયાએ પણ કમર્શિયલ પેસેન્જરોના આગમન પર 6000ની છૂટ હતી તેને ઘટાડીને 3000 કરી નાંખી છે. 14 જુલાઇ સુધીમાં આ ભારણ ઘટાડવામાં આવશે જેથી હોટેલ ક્વોરન્ટાઇન પરનું દબાણ ઘટે તેમ વડાપ્રધાન સ્કોટ મોરિસને પ્રાદેશિક નેતાઓની બેઠક બાદ જણાવ્યું હતું.
બીજી તરફ સૌથી વધારે રસીકરણ કરનારા દેશ સેશલ્સમાં મે મહિનામાં કોરોનાનો ચેપ ફરી પ્રસરવા માંડયો હતો. જે ડેલ્ટા વેરિઅન્ટને કારણે ઘટવાના કોઇ સંકેત જણાતા નથી. તાજેતરમાં કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારા છ જણાના કોરોનાનો ચેપ લાગવાને કારણે મોત થયા હોવાનું નોંધાયું છે. આ છમાંથી પાંચ જણે ભારતીય બનાવટની કોવિશિલ્ડ અને એક જણે સાઇનોફાર્મ રસી લીધેલી હતી.
બીજી તરફ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ દાવો કર્યો હતો કે તેની કોરોના રસી ડેલ્ટા વેરિએન્ટ સામે આઠ મહિના પછી પણ અસરકારક જણાઇ છે. કંપનીએ ડેલ્ટા વેરિઅન્ટ સામે તેમની રસીની અસરકારકતા ચકાસવા માટે હાથ ધરેલા બે અભ્યાસોના પરિણામો જાહેર કરતાં આમ જણાવવામાં આવ્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!