સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી છ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં 5 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

પાંચ દિવસ વરસાદની આગાહી : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.
સુરતમાં રસ્તાઓ પર પાણી ભરાયાં : સવારથી સૌથી વધારે વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. માત્ર ચાર કલાકમાં જ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો, જેને કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફર્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સુરત શહેરમાં પણ પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે વરાછાના પુણા, વેસુના વીઆઈપી રોડ, અડાજણ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.
ચોર્યાસી તાલુકામાં 4 ઈંચ વરસાદ : સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સુરતના ચોર્યાસી તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ દેખાઇ હતી. ઓલપાડ તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
પાલનપુર વિસ્તારમાં વોટર લોગિંગ થતા મેયરે મુલાકાત લીધી : સુરત શહેરમાં સવારથી જ અવિરત આવતા વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. પાલનપુર વિસ્તારની ગંગા-જમના સોસાયટી, અવધપુરી સોસાયટી સહિતની અન્ય સોસાયટીમાં પાણી ભરાતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા પોતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા.
મેયરે અધિકારીઓને પાણી ભરાતા વિસ્તારમાં ધ્યાન આપવા સૂચના આપી : હેમાલી બોઘાવાલા જણાવ્યું કે, સવારથી વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં થોડે ઘણે અંશે વોટર લોગીંગ થયું હતું. પરંતુ અમે જાત મુલાકાત લઈને તાત્કાલિક અસરથી પંપ મુકાવીને વોટર લોગીંગ ગણતરીની મિનિટોમાં દૂર કરી દીધું હતું.
આ સાથે અધિકારીઓને સૂચના આપી હતી કે દર વર્ષે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. તે વિસ્તારો પર વિશેષ ધ્યાન આપીને પાણીનો ભરાવો ન થાય તેમજ ડ્રેનેજ વિભાગને પણ તાકીદ કરી હતી કે દૂષિત પાણી સોસાયટીઓમાં ન પ્રવેશે તે તેની ખાસ કાળજી રાખવામાં આવે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!