સારંગપુરમાં અન્નકૂટની સેવામાંથી સ્વામીશ્રી પરવાર્યા હશે ત્યાં જ તેઓ પાસે એક યુવાન આવી ચડ્યો. આમ તો તે યુવાન ગોંડલમાં યોગીજી મહારાજ પાસે ગયો હતો. નિમિત્ત હતું ગામમાં મૂર્તિપ્રતિષ્ઠા માટે યોગીજી મહારાજ પધારે તેનું આમંત્રણ આપવાનું! પણ યોગીજી મહારાજે જ તેમને કહેલું ‘અમે પ્રમુખસ્વામીની ચિઠ્ઠી કરી દઈએ. તમે સારંગપુર જાવ. પ્રમુખસ્વામી પ્રતિષ્ઠા માટે આવશે.’
એ ચિઠ્ઠી લઈને આજે તે યુવાન સારંગપુર આવેલો અને સ્વામીશ્રીના હાથમાં એ પત્ર આપ્યો. તે વાંચીને તેઓએ ત્યાં ને ત્યાં જ તે યુવાનને પ્રતિષ્ઠાનો દિવસ અને સમય નક્કી કરીને જણાવી દીધા.
સ્વામીશ્રીએ યોગીજી મહારાજના વચન અને પોતાના જીવનનો સંબંધ સઢ અને પવન વચ્ચે હોય તેવો રાખેલો. સુકાની પવન ફૂંકાય તેમ સઢ ફેરવે. સ્વામીશ્રી પણ યોગીજી મહારાજની આજ્ઞા મુજબ ફરતા રહેતા. સ્વામીશ્રીની આ કાયમી રીતનું દર્શન પેલા યુવાન માટે પહેલી વારનું હતું.
તેથી તે આશ્ચર્ય અને અહોભાવ અનુભવી રહ્યો ! પોતાનું કામ પૂરું થતાં તે હવે નીકળવા ઇચ્છતો હતો, પણ બપોરનો સમય થયો હોવાથી સ્વામીશ્રી તે યુવાનને જમવા માટે પોતાની સાથે જ લઈ ગયા.
પોતાની સામે જ બેસાડીને તેને જમાડ્યો. નવા વર્ષના દિવસોમાં જ સ્વામીશ્રીનો આ સ્નેહ ચાખી તે યુવાન ગદ્ગદિત થઈ ગયો.
તા. ૩૦/૧૦ના રોજ સ્વામીશ્રી પોતાના ગામ શિયાનગરમાં પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા ત્યારે તો તે યુવાનના આનંદનો પાર ન રહ્યો. (પૂ.જ્ઞાનપ્રસાદ સ્વામી)
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો